સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને ઉચ્ચ શિક્ષણનું આવશ્યક તત્વ માનવામાં આવે છે. સંશોધન અને નવીનીકરણ નવા જ્ઞાન ઉપાર્જન અને વિકાસમા મહત્વનો ભાગ ભજવે છે તથા રાષ્ટ્રીય આવશ્યકતાઓને ગતિ પ્રદાન કરે છે.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર એ હ્યુમીનીટી, સોશિયલ સાયન્સ, ભાષાઓ, સાહિત્ય, વિજ્ઞાન, ઈજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, તબીબી, અને કૃષિ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડે છે. આ તમામ અને અન્ય ક્ષેત્રોમાં પણ વધુ સારી રીતે અભ્યાસ અને સંશોધન થાય તે જરૂરી છે. આથી શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા યુવા સંશોધકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા “સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ કવોલીટી રીસર્ચ (શોધ)” યોજના શરૂ કરવામાં આવેલ છે.
આ માટે શિક્ષણ વિભાગ દ્વારા તા. ૦૫-૦૮-૨૦૧૯ ના રોજ ઠરાવ ક્રમાંક બજટ/૨૦૧૯/ન.બા.૬૪૭/ ખ-૧ બહાર પાડવામાં આવેલ છે.
આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે:
- ગુજરાતની યુનિવર્સિટીઓમાં પી.એચડી કરતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ઈજનેરી, હ્યુમીનીટી, સોશિયલ સાયન્સ, વાણિજ્ય, વ્યવસ્થાપન, કાયદો અને શિક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં ગુણાત્મક સંશોધન માટે જરૂરી તકો પૂરી પાડવી.
- ગુજરાતની યુનિવર્સિટીઓમાં પી.એચડી કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
- રાજ્યની સંશોધન ક્ષમતાના વિકાસને ટેકો આપતા ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહન આપવું.
પાત્રતાના ધોરણો:
1. વિદ્યાર્થીએ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫% (ગ્રેસીંગ અને રાઉન્ડ ઓફ કર્યા સિવાય) મેળવેલ હોવા જોઈએ. જેમાં એસસી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને ૦૫% (ગ્રેસીંગ અને રાઉન્ડ ઓફ કર્યા સિવાય)ની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
2. વિદ્યાર્થીએ ગુજરાતની માન્ય સરકારી, સેકટોરલ અથવા ખાનગી યુનિવર્સીટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં તા. ૦૧-૦૭-૨૦૧૮ પછી પ્રવેશ નિશ્ચિત કરાયેલ હોવો જોઈએ. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ લાભ મળશે નહી.
3. વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાની અન્ય કોઈપણ સંશોધન શિષ્યવૃત્તિ (જેમકે યુજીસી રીસર્ચ ગ્રાન્ટ, રાજીવ ગાંધી ડોક્ટોરલ ફેલોશિપ, મૌલાના આઝાદ ડોક્ટોરલ ફેલોશિપ, ICSSR/ ICAR/ CSIR/ ICPR/ ICMR/ ICHR કે અન્ય કોઈ સ્કોલરશીપ મેળવેલ હશે તો આ યોજના અંતર્ગત સહાય મેળવવા પાત્ર રહેશે નહી.
4. વિદ્યાર્થી કોઈપણ સંસ્થા ખાતે કોઈપણ રીતે કામગીરી બજાવતો કે આવક મેળવતો ન હોવો જોઈએ.
5. કોઈપણ વિદ્યાર્થી જો રાજ્યની સરકારી/ ખાનગી/ સેક્ટોરલ યુનિવર્સીટીમાં કુલ ટાઈમ પી.એચ.ડી. કરતો હોય અને તેની કોઈ આવક/પગાર ન હોય તો તે પણ આ યોજના નીચે સમાવિષ્ટ રહેશે.
6. પી.એચ.ડી. રજીસ્ટ્રેશન યુ.જી.સી.ના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ થયેલ હોવું જોઈએ.
અરજી કેવી રીતે કરશો:
- આ યોજના હેઠળ લાભ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીએ નિયત ફોર્મેટમાં mysy.gu.nic.in/shodh પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજદારે નિયત નમૂનામાં તેઓના વિભાગના વડાનું પ્રમાણપત્ર મેળવેલ હોવું ફરજીયાત છે.
- જે તે યુનિવર્સીટી નોડલ ઓફિસર દ્વારા વેરીફાય કરેલ અરજીઓ કેસીજીને ઓનલાઈન મોકલવામાં આવશે તથા વેરીફાય થયેલ અરજીઓ આગળની કાર્યવાહી માટે કેસીજી સ્ક્રુટીની સમિતિ સમક્ષ મુકવામાં આવશે.
- કેસીજી સ્ક્રુટીની સમિતિ દ્વારા નિયત થયેલ વિષયવસ્તુ અને ગુણવત્તાના ધારાધોરણો અનુસાર અરજી અને રીસર્ચ પ્રપોઝલને મંજુર/નામંજૂર કરવામાં આવશે. તથા મંજુર થયેલ અરજીઓને સહાયની રકમ ચુકવવા કેસીજીને ભલામણ કરવામાં આવશે.
- સ્ક્રુટીની સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલ અરજીઓ જ સહાયની રકમ મેળવવા માટે પાત્ર બનશે.
- સરકારના પરામર્શમાં સ્ક્રુટિની કમિટી દ્વારા સૂચવવામાં આવેલા માપદંડના આધારે નોલેજ કન્સોર્ટિયમ ગુજરાત દ્વારા કેન્દ્રિય ધોરણે સહાય ચૂકવવામાં આવશે.
Download GR from here
Click here for online registration